બાળકોના સર્વાંગી વિકાસમાં બે વ્યક્તિનો વિશેષ ફાળો હોય છે એક બાળકની માતા અને બીજા શિક્ષક હોય છે. બાળકના શારીરિક વિકાસનો આધાર તેમના માતા પિતા પર રહેલો હોય છે. જ્યારે બાળકનો માનસિક અને આધ્યાત્મિક વિકાસ તેમના શિક્ષકો પર નિર્ભર રહે છે. બાળકના જીવન ઘડતરમાં શિક્ષકોનું અમૂલ્ય યોગદાન હોય છે. બાળક એ તો એક કોરી પાટી સમાન હોય છે
જેમાં શિક્ષકો આદર્શનું સિંચન કરી અને બાળકને એક ઉત્તમ નાગરિક તરીકેનું ઘડતર કરે છે. માટે જ આપણા સમાજમાં શિક્ષકોનું સવિશેષ સન્માન કરવામાં આવે છે. સમાજમાં શિક્ષકોનું સ્થાન મોભાનું હોય છે. ભારતના આવા જ એક મહાન શિક્ષણ શાસ્ત્રી આજે જન્મ દિવસ છે. 5 સપ્ટેમ્બરના રોજ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણવિદ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતિ સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવવમાં આવે છે. જે અનુસાર આજ રોજ જામનગર જિલ્લાની જોડિયા તાલુકાની શ્રી હડીયાણા કન્યા શાળામાં સ્વયં શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જે અનુસાર આજરોજ શાળાનું સમગ્ર સંચાલન શાળાની જ વિદ્યાર્થીની બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. આજે શાળાની વિદ્યાર્થીનીઓ શિક્ષકો બની શાળામાં અધ્યયન કાર્ય કરાવ્યું હતું.
શાળામાં બાળકો દ્વારા શિક્ષણકાર્ય કરાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ હોય છે કે બાળપણથી બાળકમાં નેતૃત્વના ગુણોનો વિકાસ થાય અને શિક્ષકોના આદર્શોનું અત્યારથી જ બાળકોમાં સિંચન થાય. આવા ઉદેશ્યથી શાળામાં વિદ્યાર્થીઓ પાસે શિક્ષણકાર્ય કરાવવામાં આવે છે. ઉપરાંત બાળકો અને શિક્ષકો વચ્ચે આજનો કાર્યક્રમ એક સેતુ તરીકે કામ કરે છે. ઉપરાંત બાળકોને અધ્યયન કરાવતા નિહાળવા એ પણ એક અલગ જ લહાવો હોય છે. આજે શ્રી હડીયાણા કન્યા શાળામાં શિક્ષકો બનીને આવેલા બહેનોએ ખૂબ જ સારી રીતે અધ્યયન કાર્ય કરાવ્યું હતું. આજના કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના તમામ શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી હતી. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય અરવિંદ મકવાણા દ્વારા બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.
શરદ એમ.રાવલ – જોડિયા